મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.
કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારનો આપઘાત
મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો છે, પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.
શંખેશ્વરમાં રહેતા પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
શંખેશ્વરમાં રહેતા પતિ, પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે, તો પોલીસને નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે અને પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન પણ લીધા છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરના નામનો ઉલ્લેખ નહી
મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસને જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસ કોલ ડિટેઈલના આધારે અથવા પરિવારના કોઈ સભ્યો કહે કે આ વ્યકિત પાસેથી રૂપિયા લીધા હતા તો તેને બોલાવીને પોલીસ પૂછપરછ કરી શકે છે અને ગુનો પણ નોંધી શકે છે, સમગ્ર ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે.
વ્યાજખોરને લઈ યોજાઈ હતી ડ્રાઈવ
રાજ્યમાં લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી હતી. અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી હતી.