રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી પિતા-પુત્રનું મોતની ઘટના સામે આવી છે. ગોંડલના બિલીયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રના ઘટના સ્થળે મોત થયા છે. પિતા-પુત્ર સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો હતો. પિતા-પુત્રના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો છે. પિતા ભીખા હિરપરા અને પુત્ર ક્રિશ હિરપરાનું મોત થયું છે. રક્ષાબંધન પહેલા બે બહેનોના એકના એક ભાઈનું મોત થયું છે.
ગોંડલમાં વીજ કરંટથી પિતા-પુત્રનું મોત
ગોંડલના બિલીયાળા ગામે વિજકરંટ લાગતા પિતાપુત્રના ઘટના સ્થળે મોત થયું છે. બિલીયાળા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા પિતા-પુત્રને ઓરડીમાં વિજકરંટ લાગ્યો હતો. મૃતક ભીખાભાઈ ભોવનભાઈ હિરપરા ઉ.વ.55 અને ક્રિસ ભીખાભાઈ હિરપરા ઉ.વ.19 છે. મૃતક પુત્ર ક્રિશ BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પોલીસ,પીજીવીસીએલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી
મૃતકના બંને મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસ,પીજીવીસીએલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. બિલીયાળા ગામે મૃતકના પરિવારજનોમાં હૈયાફાટ રૂદન સાથે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં યુવા અગ્રણી ગણેશ જાડેજા, બીલયાળા સરપંચ દીપકભાઈ(લાલો) રૂપરેલીયા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, યાર્ડના વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.