Gandhinagar News : ગુજરાતમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર, મૃતકના પરિવારે કહ્યું- 'હવે બીજા બાળકો સુરક્ષિત'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં અડાલજ કેનાલ પર થયેલી હત્યાના આરોપી વિપુલનું પોલીસ એન્કાઉન્ટર થતાં મૃતક વૈભવના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. લગભગ 19 વર્ષ બાદ ગુજરાતમાં આવી ઘટના બની છે, જ્યાં આરોપીનું એન્કાઉન્ટર થયું હોય અને મૃતકના પરિવારને તુરંત ન્યાય મળ્યો હોય. વૈભવના પિતા શંકરજીએ જણાવ્યું કે, "આજે અમને એ વાતનો સંતોષ છે કે અમારા જેવી હાલત હવે કોઈ અન્ય માતા-પિતાની નહીં થાય." જોકે, તેમણે ઉમેર્યું કે, "અમે અમારી અનમોલ ચીજ (પુત્ર) ગુમાવી છે, તે હવે ક્યારેય પાછી નહીં મળે. ભલે કોઈનો એન્કાઉન્ટર થાય કે ફાંસી થાય, પણ અમારો પુત્ર પાછો નહીં આવે. બસ, બીજા કોઈનો પુત્ર ન જાય તે વાતનો અમને સંતોષ છે."
આરોપીને ખુલ્લો છોડવા પર સવાલો
વૈભવના પિતાએ ગુજરાત પોલીસનો આભાર માન્યો અને આવા ગુનેગારોનો અંજામ એન્કાઉન્ટર જ હોવો જોઈએ તેમ જણાવ્યું. તેમણે કહ્યું કે, "જો આવા સાયકો કિલરને ખુલ્લા છોડી દેવામાં આવે, તો દરેક માતા-પિતા માટે પોતાના બાળકને ઘરની બહાર મોકલવું મુશ્કેલ બની જશે." તેમણે ઉમેર્યું કે, "આરોપી વિપુલ સામે અગાઉ પણ ઘણા કેસ હતા, છતાં તેને ખુલ્લો છોડી દેવાયો હતો, જે સમાજ અને બાળકો માટે મોટો ખતરો હતો. આ ઘટના તે જ સમયે થઈ જવી જોઈતી હતી, જ્યારે તેને જામીન મળ્યા હતા."
સિસ્ટમમાં બદલાવની માંગ અને પરિવારની પીડા
વૈભવની માતાએ એન્કાઉન્ટરથી ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "હું ખુશ છું કે ઘણા બાળકો સુરક્ષિત થઈ ગયા, પરંતુ મારા બાળકનું શું? જો તેને છોડવામાં ન આવ્યો હોત તો મારો પુત્ર આજે મારી સાથે હોત." તેમણે કાયદાકીય સિસ્ટમમાં બદલાવની માંગ કરી કે, "જે વ્યક્તિ પહેલીવાર ગુનો કરે, તે જ તેનો છેલ્લો ગુનો હોવો જોઈએ." તેમણે જણાવ્યું કે, "મારો પુત્ર એક ફાઇટર અને શક્તિશાળી વ્યક્તિ હતો, છતાં એકલો વ્યક્તિ આટલી નિર્દયતાથી તેની હત્યા કરી શકે નહીં, જે દર્શાવે છે કે આરોપી ખૂબ જ માનસિક રીતે બીમાર હતો." વૈભવની માતાએ ઉમેર્યું કે, "આજ ચાર દિવસમાં મને જે ન્યાય મળ્યો તેનો હું આભાર માનું છું, પરંતુ મારા જીવનભર થયેલા અન્યાયનો ન્યાય કોણ આપશે? અમારો આખો પરિવાર તેના વિના ખતમ થઈ ગયો છે. અમારા ઘરમાં હવે ક્યારેય નવરાત્રી કે કોઈ ઉત્સવ નહીં ઉજવાય.
What's Your Reaction?






