Bharuch:જિલ્લામાં છેલ્લાં 10 દિવસમાં સૌથી વધુ હાંસોટમાં 14 ઈંચ વરસાદ

Jun 24, 2025 - 03:30
Bharuch:જિલ્લામાં છેલ્લાં 10 દિવસમાં સૌથી વધુ હાંસોટમાં 14 ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ જામી ગયો છે. ચોમાસાની શરુઆતમાં જ એકંદરે સારો વરસાદ ખાબકી ગયો છે. આમોદ સિવાય બાકીના 8 તાલુકામાં મેઘરાજાએ 4 ઈંચ એટલે કે 100 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ હાંસોટમાં 14 ઈચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આમોદમાં 3 ઈંચ વરસાદ થયો છે.

ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાએ એક સપ્તાહ વહેલી એન્ટ્રી પાડી દીધી છે. છેલ્લા 10 દિવસમાં એકંદરે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી માત્ર આમોદ તાલુકામાં 3 ઈંચ એટલે કે 70 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, સૌથી વધુ વરસાદ હાંસોટમાં 14 ઈંચ એટલે કે 357 મિમી વરસાદ વરસ્યો છે. ભરૂચ શહેરમાં સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકમાં ભરૂચ તાલુકામાં 40 મિમી એટલે કે દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આમોદ, જંબુસર અને વાગરા પંથકમાં સોમવારે બપોર સુધી મેઘરાજએ હાજરી નોંધાવી ન હતી.

શહેરમાં વરસાદ વરસતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરુ થઈ ગઈ હતી. શહેરના સ્ટેશન રોડ પર આવેલી એક સ્કૂલ પાસેથી પસાર થતી ગટરની સફાઈ ન થઈ હોવાથી તેમજ ત્યા કચરો જામી જવાને કારણે શાળાના બાળકોને મજબૂરીથી ગટરના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું હતું. ત્યારે બાળકોને ગટરના પાણીમાંથી પસાર થવાને કારણે કોઈ બિમારી તેઓ સંક્રમિત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

નદી-નાળામાં નવા નીરની આવક શરૂ થઈ

ભરૂચમાં વરસાદી માહોલ જામી ગયો છે. જેના કારણે શહેર-ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળામાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં તળાવોમાં પણ પાણીનો ભરાવો થવાનું શરૂ થઈ ગયું છે. હજી તો ચોમાસુ શરૂ થયું છે. ત્યારે આગામી દિવસોમાં ચોમાસાની આખી સિઝનમાં સારો વરસાદ થતાં તમામ જળસ્ત્રોત પુનઃ ચાર્જ થવા સાથે આખું વર્ષ ચાલી રહે તેટલું પાણી એકત્ર થઈ જાય તેવી આશા બંધાઈ છે.

ભરૂચના કસકમાં પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ નહીં

વરસાદી માહોલ જામે એટલે ભરૂચ શહેરમાં પાણી ભરાવાનો પ્રશ્ન શરૂ થઈ જાય છે. શહેરના લિંકરોડ, શક્તિનાથ, સેવાશ્રામ રોડ, પાંચબત્તી તેમજ કસક વિસ્તારમાં પાણીનો ભરાવો થવાનું શરૂ થઈ જતું હોય છે. જોકે, આ તમામમાં કસક વિસ્તારમાં ભરાતાં પાણીને લઈને લોકો સૌથી વધુ પરેશાન થાય છે. છેલ્લા કેટલાંય સમયથી કસક વિસ્તારમાં વરસાદી કાંસમાંથી આવતાં પાણી રોડ પર આવી જતાં હોવાને કારણે ભારે મુશ્કેલીઓ પડતી હોય છે. જોકે, પાલિકા દ્વારા હજી સુધી આ સમસ્યાનો કોઈ ચોક્કસ નિકાલ લાવી શકી નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં ચારેય તરફ લીલોતરી છવાઈ

છેલ્લા 10 દિવસથી એકંદરે રોજ આકાશમાંથી કાચુ સોનુ વરસી રહ્યું છે.ત્યારે વરસાદી પાણીથી ભીંજાયેલી ધરા પણ નવપલ્લવિત બીજના અંકુરણ ફૂટવાને કારણે ચારેય તરફ હરિયાળી જોવા મળી રહી છે. તેમાંય ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં તેમજ ખેતરોના શેઢા પર તથા આસપાસના વિસ્તારમાં ઉગી નિકળેલી ઘાસ તેમજ અન્ય વનસ્પતિઓને કારણે ચારેય તરફ લીલીછમ ચાદર પ્રસરી ગઈ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યાં છે.

સાગબારાના પાટ ગામે ધોધમાર વરસાદ, ચેકડેમ ઓવરફ્લો

દેડિયાપાડા : સાગબારા તાલુકામાં પાટ ગામ વિસ્તારમાં આજે બપોરે બે વાગે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પાટ નદીમાં વરસાદના નવા પાણી ભરાયાં હતા. પાટ નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. પાટ નદીમાં વરસાદના પાણી ભરાતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. સાગબારા તાલુકામાં ચોમાસું શરૂ થઈ ગયું છે. ક્યારેક ઝરમર તો ક્યારેક ધોધમાર વરસાદ પડે છે. આજે સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. પાટ ગામ વિસ્તારમાં દિવસે બે વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. પાટ નદીમાં અચાનક વરસાદના પાણી ભરાયાં હતા અને પાટ નદીમાં વરસાદના પાણી વહેતાં નજરે પડતાં હતાં. પાટ નદી ઉપરનો આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. ચેકડેમ પહેલીવાર ઓવરફ્લો થતાં ખેડૂતો અને લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. પાટ અને સાગબારા તાલુકામાં અન્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતો પોતાના ખેતરમાં કપાસ, મકાઈ, ડાંગર તુવેર અને શાકભાજીના પાકના બિયારણોનું વાવેતર કરવામાં પ્રવૃત થયા હતા.

નર્મદા જિલ્લાનો ગરૂડેશ્વર વિયર ડેમ કમ કોઝ-વે ઓવરફ્લો થયો

કેવડિયા કોલોની : સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતાં નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં હાલ જળસપાટી 119 મીટર છે. ડેમમાં 2723 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જોકે ઉપરવાસમાંથી 20870 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે વીજ મથકો ચલાવવામાં આવતા વીજ મથકોમાંથી 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. સાથે કેવડિયા વિસ્તારમાં વરસાદ પણ પડી રહ્યો છે. જેના કારણે નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસામાંની સિઝનમાં વિયર ડેમ છલકાઈ રહ્યો છે. વિયર ડેમ કમ કોઝ-વૅ ઓવરફ્લો થયો વિયર ડેમનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. 35 મીટર ઉપરથી ઓવરફ્લો થતો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી રહ્યાં છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0