Ahmedabad News: સાણંદ GIDC પાસે વાહન હટાવવાના મુદ્દે ટ્રક ડ્રાઈવરની હત્યા કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઇડીસી પાસે આવેલા ચરલ ગામ ખાતે પાન પાર્લર પાસે રહેલા વાહન હટાવવા બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો. જેમા આરોપીએ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને છરીના ઘા મારી હત્યા નીપજાવી છે. જે મામલે સાણંદ જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે.
સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી
અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઇડીસી પાસે આવેલા ચરલ ગામ ખાતે ગઈકાલે વહેલી સવારે એક ટ્રક ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હતી. સાથે જ અન્ય એક ટ્રક ચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી મહેશ વાઘેલા નામના હત્યારાની ધરપકડ કરી છે. પોલીસે હત્યા અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે, 29 જુલાઈના રોજ સવારે ચરલ ગામ પાસે ચા પીવા ઉભા રહેલા ટ્રક ડ્રાઇવરે એક્ટિવા અને રીક્ષા હટાવવાનું કહેતા આરોપી મહેશ વાઘેલાએ તકરાર કરી હતી. જે તકરાર બાદ મહિપાલ યાદવ નામના ટ્રક ડ્રાઇવરનો પીછો કરી આરોપીએ ટ્રક ઉભી રખાવી છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.
પાન પાર્લરના સંચાલક મહેશ વાઘેલાએ ટ્રક ચાલકને મોતને ઘાટ ઉતાર્યો
હત્યા અને હુમલાની તપાસ કરતા પોલીસ સમક્ષ હકીકત સામે આવી કે, આરોપી મહેશ વાઘેલા મૂળ સાણંદના ખીચા ગામનો વતની છે અને ચરલ ગામ ખાતે પાન પાર્લર ચલાવે છે. તે પાન પાર્લરની બહાર રહેલા વાહન હટાવવા બાબતે મૃતક મહિપાલ યાદવ અને તેની સાથે રહેલા ભગવાનભાઈ મીણા સાથે તેની તકરાર થઈ હતી. જે બાદ ટ્રક ચાલકનો પીછો કરી અંદાજિત 100 મીટર દૂર ખુલ્લી જગ્યામાં ટ્રક ઉભી રખાવી તેની સાથે માથાકૂટ કરી હતી. જે બાદ ઇજાગ્રસ્ત ભગવાનભાઈ મીણા અને મૃતક પર છરી વડે હુમલો કરતા મહિપાલ યાદવનું મૃત્યુ થયું હતું. જે હત્યા બાદ આરોપી હીરાપુર ગામ ખાતે છુપાયો હોવાની હકીકત મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હત્યારો મહેશ વાઘેલા ગુનેગાર ઇતિહાસ ધરાવે છે
હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી મહેશ અગાઉ પણ 2022માં ટ્રેક્ટર અને ડાંગર ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. ઉપરાંત 2023માં મારામારી અને લૂંટના ગુનામા પણ ધરપકડ થઈ હતી. માટે પોલીસ તપાસ કરી રહી છે કે હત્યા પાછળનું કારણ માત્ર વાહન હટાવવાનું છે કે અન્ય કોઈ, ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.
What's Your Reaction?






