Visavadar By-Election: તમામ રાજકીય પક્ષો માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન

May 31, 2025 - 23:30
Visavadar By-Election: તમામ રાજકીય પક્ષો માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જંગ જામવાનો છે. ત્રિપક્ષીય નહિ પરંતુ ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે, ત્યારે આ વખતે ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો માટે જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન લાગી રહી છે. સંદેશ વિશ્લેષણમાં ધ્યાને આવ્યું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી કરતાં સૌથી વધારે મહેનત કોંગ્રેસ પક્ષ માટે રહેશે. જો કે ભાજપ માટે પણ આ બેઠક જીતવી શાખ સમાન છે, પરંતુ આમ આદમી પાર્ટીનો જુવાળ જે રીતે વર્ષ 2022માં જોવા મળ્યો, ત્યારે આ પેટાચૂંટણીમાં કઈ પાર્ટી કઈ દિશામાં મહેનત કરી રહી છે તે ગણિત સમજવા જેવું છે.

વર્ષ 2022માં શું હતી સ્થિતિ?

વિસાવદર બેઠક પર વર્ષ 2022 દરમિયાન કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર જે તે સમયે કુલ 1,46,727 લોકોએ મત આપ્યા હતા, જેમાંથી કોંગ્રેસના કરશન વડોદરિયાને 16,969 મત મળ્યા હતા, ભાજપના હર્ષદ રીબડિયાએ 59,147 મત મેળવવા છતાં હાર ભાળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીને 66,210 મત સાથે વિજેતા બન્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર ઈકબાલ સમા અને મનસુખ વાઘેલાને અનુક્રમે 635 અને 1842 મત મળ્યા હતા.

કેટલા બુથ છે સંવેદનશીલ?

પરંતુ મહત્વની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીને જીત મળી અને ધારાસભ્ય ભુપત ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી અને ભાજપનો ખેસ પહેરતાં આ બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વર્ષ 2022ના આંકડાને આધારે સંદેશ ન્યૂઝ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં અનેક મહત્વની વિગતો સામે આવી છે. કઈ પાર્ટી કઈ દિશામાં મહેનત કરી અને જીત મેળવવા પ્રયાસ કરી રહી છે, તેના બુથ મુજબ આંકડા અલગ તારવવામાં આવ્યા. આ તારણમાં સામે આવ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ પક્ષ માટે આંતરિક રીતે સંવેદનશીલ બુથની સંખ્યા અનુક્રમે 35 અને 254 છે. તેમાં પણ 50 કરતાં ઓછા મત મળ્યા હોય એવા કોંગ્રેસ માટે બુથની સંખ્યા 171 છે, જ્યારે ભાજપ માટે આવા બુથની સંખ્યા 7 જોવા મળે છે. આ ઉપરાંત 51થી 100 મત મળ્યા હોય ભાજપ માટે કુલ 28 બુથ છે. જ્યારે કોંગ્રેસ માટે આવા બુથની સંખ્યા 83 છે. જો કે આમ આદમી પાર્ટી માટે 50 કરતાં ઓછા મત મળ્યા હોય એવા બુથની સંખ્યા 10 છે, જ્યારે 51થી 100 મત મળ્યા હોય એવા બુથની સંખ્યા 15 છે. આ તમામ રાજકીય પાર્ટી માટે ચાલુ વખતની ચૂંટણીમાં 50 કરતાં ઓછા અને 51થી 100 મત મળ્યા હોય એવા તમામ બૂથ પર મજબૂત મતદાન થાય એવો પ્રયાસ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કયા બુથ પર રાજકીય પક્ષોએ કરવી મળશે મહેનત ?

વિસાવદર વિધાનસભા બેઠક પરના કુલ 296 બુથ પૈકી કયા રાજકીય પક્ષ માટે કયા બુથ પર વધારે મહેનત કરવી આ પ્રાથમિકતા છે, તે અંગે સંદેશ વિશ્લેષણમાં માત્ર બુથની સંખ્યા જ છે એમ નથી પરંતુ કયા પક્ષ માટે કેટલા બુથ સંવેદનશીલ છે એ તમામ આંકડા પણ છે. જો કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને હાશકારો આપે એવી એક વાત એ જરૂર છે કે 300 કરતાં વધારે મત મળ્યા હોય એવા બૂથની સૌથી વધુ સંખ્યા આપ પાસે છે. આ સંખ્યા 58 છે, જેની સરખામણીએ કોંગ્રેસ પાસે એક જ એવો બૂથ છે કે જેમાંથી 300 કરતાં વધારે મત વર્ષ 2022 દરમિયાન મળ્યા હતા. જ્યારે ભાજપ પાસે આવા બૂથની સંખ્યા 39 છે.

વિસાવદર બેઠક છે ખાસ

વિસાવદર વિધાનસભા બેઠક મહત્વની એટલે છે કેમ કે આ બેઠક એક મુખ્ય પ્રધાન પણ આપી ચૂકી છે. કેશુભાઈ પટેલ પહેલી વખત ચૂંટણી જીતીને 1995માં મુખ્ય પ્રધાન બન્યા હતા. આ પૂર્વે કુરજીભાઈ ભેસાણીયા ગુજરાત એસટી નિગમમાં ડિરેક્ટર અને રાજ્ય સરકારમાં અન્ય પદો પર કામ કરી ચૂક્યા છે. કેશુભાઈ પટેલ બાદ ચૂંટણી જીતેલા કનુભાઈ ભાલાળા પણ ગુજરાત સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હવે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને જો ભાજપના ઉમેદવાર ને ચૂંટણી જીતવામાં સફળતા મળે છે તો તેને રાજ્ય પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0