Kachchh: આ વર્ષે સારા ચોમાસાની આશાએ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોતરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં સામાન્ય રીતે વરસાદનું આગમન હંમેશાં થોડું મોડું થતું હોય છે, જેને કારણે હાલે ગરમીની અનુભૂતિ થઇ રહી છે, તો બીજી તરફ સરકાર દ્વારા ટેકાનાં ભાવે શિયાળુ પાકની ખરીદી કરવામાં આવી રહી છે. તેની વચ્ચે ખેડૂતો દ્વારા ખરીફ પાકનાં વાવેતરનાં પણ શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે, પરિણામે વાવેતરની શરૂઆત સાથે જ ૨,૫૩૫ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ કપાસનું ૨,૧૮૫ હેક્ટરમાં વાવેતર જોવા મળી રહ્યું છે. આમ, તો સમગ્ર જિલ્લામાં ખરીફ પાકનું સરેરાશ ૬,૨૭,૭૭૭ હેક્ટરમાં વાવેતર થાય છે, પરંતુ જે રીતે ખેડૂતો દ્વારા સ્થાનિકે પાણીનાં સ્ત્રોત ઊભા કરવામાં સફળતા મેળવી છે, તે જોતાં પિયત ધરાવતા ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે ખરીફ પાકનું મહત્તમ વાવેતર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
પાકનાં વાવેતરનાં પ્રારંભ સાથે જ ૨,૫૩૫ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું
નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકનાં વાવેતરનાં શ્રાીગણેશ કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે અષાઢી બીજે ખેડૂતો દ્વારા હળનું પૂજન કરીને વાવેતરની શરૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ખાસ કરીને પિયત ધરાવતા ખેડૂતો દ્વારા અત્યારથી જ પોતાનાં ખેતરોમાં હળ જોતરી દેવામાં આવ્યા છે. જેેના પગલે ખરીફ પાકનાં વાવેતરનાં પ્રારંભ સાથે જ ૨,૫૩૫ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે રીતે ખેડૂતો ખરીફ પાકનાં વાવેતરમાં અત્યારથી જ જોતરાઇ ગયા છે તે જોતાં આગામી દિવસોમાં ક્રમશઃ વાવેતરમાં વધારો થતો જોવા મળશે. કારણ કે, ખેડૂતો મગફળી, કપાસ અને ઘાસાચારા સાથે અન્ય પાકનું વાવેતર કરવામાં જોતરાઇ ગયા છે.
જિલ્લામાં ચોમાસું પાકનાં પ્રારંભ સાથે થયેલું વાવેતર
જિલ્લામાં ખરીફ પાકનાં થયેલા વાવેતર પર નજર કરવામાં આવે તો મગફળીનું ૧૫૦ હેક્ટરમાં, કપાસનું ૨,૧૮૫ હેક્ટરમાં અને ઘાસચારનું ૨૦૦ હેક્ટર મળી કુલ ૨,૫૩૫ હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર થવા પામ્યું છે. કચ્છનાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ કરેલા વાવેતરમાં અબડાસા તાલુકામાં ૫૦૦ હેક્ટરમાં, અંજાર તાલુકામાં ૯૫૦ હેક્ટરમાં, ભચાઉ તાલુકામાં ૪૦૦ હેક્ટરમાં, ભુજ તાલુકામાં ૧૩૦ હેક્ટરમાં, લખપત તાલુકામાં ૮૦ હેક્ટરમાં, માંડવી તાલુકામાં ૨૦૦ હેક્ટરમાં, મુન્દ્રા તાલુકામાં ૧૦૫ હેક્ટરમાં, નખત્રાણા તાલુકામાં ૭૦ હેક્ટરમાં અને રાપર તાલુકામાં ૧૦૦ હેક્ટર મળીને કુલ ૨,૫૩૫ હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગાંધીધામ તાલુકામાં ખેડૂતો દ્વારા હજુ સુધી ખરીફ પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું નથી.
What's Your Reaction?






