સોશિયલ મીડિયા સામાજિક અવરોધો ઘટાડે છે તેમજ તે ઓળખના આધારે નહીં પરંતુ, માનવીય મૂલ્યોના બળ આધારે લોકો સાથે જોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ છેલ્લાં દાયકામાં દેશમાં ડિજિટલ ક્ષેત્રે આમૂલ પરિવર્તન જોવા મળ્યું છે, આજે ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ ઈન્ટરનેટ ડેટા પ્લાનના કારણે સ્માર્ટફોન્સના વપરાશકર્તાઓ મોટાપાયે વધ્યા છે. ખાસ કરીને જાહેર સેવામાં સોશિયલ મીડિયા કમ્યુનિકેશન ના એક મહત્ત્વના માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે.
આવતીકાલે સોશિયલ મીડિયા દિવસ
સોશિયલ મીડિયા દિવસના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર એક નજર કરીએ તો તાજેતરના એક સર્વે મુજબ, ભારતમાં વર્ષ 2025ની શરૂઆતમાં અંદાજે 49.1 કરોડ સક્રિય સોશિયલ મીડિયા વપરાશકર્તા નોંધાયા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના એપ્રિલ 2025ના આંકડા મુજબ, ઈન્ટરનેટ વપરાશ કર્તાઓનો આંકડો 94.3 કરોડને વટાવી ગયો છે. આ વૃદ્ધિમાં મોટાભાગનો હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ છે, જ્યાં સસ્તા ડેટા પ્લાનો જે ગ્રામ્યસ્તરે પણ સ્માર્ટફોનનો વધતો વ્યાપ દર્શાવે છે.
ભારતીયો દિવસનો સરેરાશ 2 કલાક 50 મિનિટ જેટલો સમય પોતાના મોબાઈલમાં નીકાળે છે
ગ્લોબલ ડિજિટલ રિપોર્ટ 2025 અનુસાર, ભારતીયો દિવસનો સરેરાશ 2 કલાક 50 મિનિટ જેટલો સમય પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા પર પસાર કરે છે. ખાસ કરીને યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે, 18થી 35ની વયના લોકોમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પ્રચલિત છે. આ ડિજિટલ ક્રાંતિ જોતાં એવું કહી શકાય કે સોશિયલ મીડિયાએ પારદર્શકતા, સમાવિષ્ટતા અને નાગરિક કેન્દ્રિત માધ્યમ તરીકે સ્થાન જમાવ્યું છે.
સોશિયલ મીડિયા : નાગરિક અને સરકાર વચ્ચે સુશાસનનો પારદર્શક સેતુ
સોશિયલ મીડિયા આજે જાહેર ક્ષેત્રે કમ્યુનિકેશનના એક પરિવર્તનકારી ટૂલ તરીકે ઉભરી આવ્યું છે, જેના દ્વારા નાગરિકો સાથે સરકાર સીધું, ઝડપી અને પારદર્શક જોડાણ સાધી શકે છે.
ફેક્ટ-ચેકિંગ તેમજ ફરિયાદ નિવારણ માટેની પદ્ધતિ પણ વિકસાવામાં આવી રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે,જે માધ્યમથી તેઓ લોકો સાથે અર્થસભર અને સીધું જોડાણ જાળવી રાખે છે. જે સોશિયલ મીડિયા ક્ષેત્રે સરકારના બહુપક્ષીય અભિગમની પુષ્ટિ કરાવે છે. ગુજરાત સરકારની સોશિયલ મીડિયા વ્યૂહરચના પણ બહુપક્ષીય અભિગમ પર રચાયેલી છે જે કમ્યુનિકેશન, લોકો સાથેનું જોડાણ તેમજ પ્રતિભાવોની જાણકારી ને અસરકારક રીતે કેળવવાનો પ્રયત્ન કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી માહિતીનો પ્રસાર, વિવિધ વિષયો પર જાગૃતિ અભિયાન, ખોટી માહિતી ફેલાય નહીં તે માટે ફેક્ટ-ચેકિંગ તેમજ ફરિયાદ નિવારણ માટેની પદ્ધતિ પણ વિકસાવામાં આવી રહી છે. આ મૉડેલ ડિજિટલ ચેનલ દ્વારા સતત લોકો સુધી પહોંચી, પારદર્શકતા તેમજ સર્વ સમાવેશી અભિગમને સમર્થન આપી રહ્યું છે.
માહિતી નિયામકની કચેરીનો ડિજિટલ માધ્યમ થકી જનજાગૃતિ અભિગમ
માહિતી નિયામકની કચેરી સોશિયલ મીડિયા તેમજ ડિજિટલ મીડિયાના સચોટ ઉપયોગ થકી સરકારી સંચારને વિસ્તારવામાં મહત્વનો ભાગ ભજવે છે. સર્વસમાવેશી તેમજ લોકો-કેન્દ્રિત અભિગમ અપનાવી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ દ્વારા સમાજના દરેક સ્તરે સમયસર, ચોક્કસ અને જરૂરી માહિતી પહોંચાડે છે.
પ્રાકૃતિક ખેતી સહિતની પોસ્ટ્સ દ્વારા લોકોને જાગૃત કરે છે
માહિતી નિયામકની કચેરી દ્વારા નવીનતમ લૉન્ચ કરાયેલ મારી યોજના પોર્ટલ (https://mariyojana.gujarat.gov.in/) એક અનોખી પહેલ છે. સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી એક જ મંચ પર ઉપલબ્ધ કરાવતા આ યુઝર ફ્રેન્ડલી ડિજિટલ પ્લેટફોર્મમાં નાગરિકો સરળતાથી પોતાને મળતા સરકારી લાભ વિશે જાણકારી મેળવી શકે છે. વધુમાં, નવી લૉન્ચ કરાયેલ https://gujaratinformation.gujarat.gov.in/ વેબસાઈટ પ્રેસનોટ્સને મલ્ટી મિડિયા ફોર્મેટમાં ડાઉનલોડ કરવી, ગુજરાત સરકારના વિવિધ માહિતી સભર પ્રકાશનો જોવા તથા ડાઉનલોડ કરવા, ડિજિટલ આર્કાઈવની સુવિધા, ફોટો-વિડીયો બેંક, SEO સપોર્ટ અને દિવ્યાંગજનને અનુકૂળ ટેક્નોલોજી, અને પ્રેસનોટને સીધી સોશિયલ મીડિયા પર શેર કરવા માટેની સુવિધા દ્વારા સરકારી માહિતી રસપ્રદ સ્વરૂપે નાગરિકોના આંગળીના ટેરવે ઉપવબ્ધ થઈ છે. આ સાથે જ વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ થકી માહિતી નિયામકની કચેરી નિયમિતરીતે ઇન્ફોગ્રાફિક્સ, વિવિધ યોજનાઓની માહિતી, સિદ્ધિઓ અને સાફલ્ય ગાથા, પ્રાકૃતિક ખેતી સહિતની પોસ્ટ્સ દ્વારા લોકોને જાગૃત કરે છે.
ક્લિક એક, જાણકારી અનેક - ડિજિટલ જાગૃતિના દિશા-નિર્દેશ
ગુજરાત સરકારના આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વન સહિતના વિવિધ વિભાગો વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના માધ્યમથી કેમ્પેઈન્સ ચલાવીને લોકોને જાગૃત કરી રહ્યા છે. જેમ કે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને રસીકરણ, જે-તે રોગથી કેવી રીતે બચવું તેમજ રાજ્ય ની મેડિકલ સુવિધાઓની રિયલ ટાઈમ અપડેટ સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવે છે. વનસંરક્ષણ વિભાગ દ્વારા વન સંરક્ષણ સંદેશ, શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન, વિવિધ કોર્સ, સ્કોલરશિપ્સ સહિતની અગત્યની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
મિસ-ઈન્ફોર્મેશનના પ્રવાહમાં સાચી માહિતી આપવા સરકારનો ડિજિટલ ફેક્ટ-ચેક અભિગમ
જ્યાં એકબાજુ લોકો જરૂરી માહિતી પ્રાપ્ત કરવા માટે સરકારી સોશિયલ મીડિયાને ફોલો કરે છે ત્યારે બીજી બાજુ ખોટી માહિતી ફેલાતી રોકવા અને સાચી માહિતી આપવા માટે પણ સરકાર સજાગ છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને રાજ્ય સરકારની માહિતી નિયામકની કચેરી સક્રિયપણે ફેક ન્યૂઝની ઓળખ કરીને લોકો સમક્ષ સાચી માહિતી પૂરી પાડી રહી છે. આપદાના સમયે રિયલ ટાઈમ ફેક્ટ-ચેક કરીને નાગરિકોને અધિકૃત માહિતી પૂરી પાડતા લોકોમાં ખોટો ભય ફેલાતો અટકે છે તેમજ કોઈ પ્રકારે મૂંઝવણ પણ ઊભી થતી નથી. માહિતી મેળવવા માટે નાગરિકો વિશ્વસ નીય સ્ત્રોત પર આધાર રાખે તે માટેનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આમ, સોશિયલ મીડિયા લોકશાહી અને સરકારના સુશાસનના અભિગમને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા હેન્ડલ્સ થકી નાગરિકોની ફરિયાદોનું નિવારણ
ડિજિટલ યુગમાં સરકારી સોશિયલ મીડિયા હેન્ડલ્સ નાગરિકોની ફરિયાદોનું નિવારણ તેમજ જે-તે સમસ્યા નિવારવા ત્વરિત કાર્યવાહી કરે છે. જેમ કે ભારતીય રેલવેનું @RailMinIndia હેન્ડલ લોકોની રેલવે સંબંધિત ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે પ્રખ્યાત છે. જ્યારે ગુજરાતમાં ગુજરાત પોલીસનું GP SMASH ( Gujarat Police - Social Media Awareness and Systematic Handling initiative) તેમજ સાયબર દોસ્ત સોશિયલ મીડિયામાં પ્રાપ્ત ફરિયાદોને ઝડપથી પહોંચી વળવા અને નાગરિકોને સહાય આપવા માટે સક્રિય છે. આ રીતે સરકારી સોશિયલ મીડિયા હેન્ડલ્સ નાગરિકો માટે ઝડપી અને જવાબદાર સેવા સુનિશ્ચિત કરે છે.
ક્રાઈસીસ અને આપદા સમયે સોશિયલ મીડિયાની ચાવીરૂપ ભૂમિકા
રાજય સરકાર દ્વારા સંચાલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી આપદા સમયે લોકોને સાચી અને સચોટ માહિતી ઝડપથી પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વરસાદી પૂર અંગેની ચેતવણી તેમજ આવા સંજોગોમાં અગમચેતીના પગલાં સહિત તંત્ર દ્વારા કરવામાં આવતી રાહત કામગીરી વગેરે કલેક્ટર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના હેન્ડલ્સ પરથી અપાતા લોકોમાં ભય ઓછો થાય છે. આ સિવાય કોવિડ મહામારી, બિપરજોય વાવાઝોડું જેવી આપદાઓ દરમિયાન લોકોને માહિતગાર કરવા કેન્દ્ર-રાજ્ય સરકારના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની સાથે-સાથે ફેક ન્યૂઝ ફેલાતા અટકાવી વિશ્વસનીય માહિતી પહોંચાડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હવે જનભાગીદારી થઈ ડિજિટલ
ભારત સરકારના MyGov પોર્ટલ જેવી પહેલ થકી ઓનલાઈન સર્વે, કેમ્પેઈન્સ માટેના નવા આઈડિયા તેમજ નીતિઓ બાબતે વિમર્શ માટે લોકોને જોડવામાં આવે છે. ગુજરાતમાં MyGov Gujarat પોર્ટલ દ્વારા પ્રાદેશિકસ્તરે માહિતીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જે અંતર્ગત રીલ કોમ્પિટિશન, માસ્કોટ ડિઝાઈન કોમ્પિટિશન, વિવિધ યોજના અંગેની જાણકારી સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના માધ્યમથી યુવાનો, મહિલાઓ તેમજ ગ્રામીણ નાગરિકો પણ સહભાગી બનતા રહ્યા છે.
છેવાડાના નાગરિક સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા ટૂલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિક સુધી સાચી અને અધિકૃત માહિતી પહોંચાડવા માટે એક મજબૂત અને વ્યાપક સોશિયલ મીડિયા નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ નેટવર્કમાં મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી લઈને ગ્રામ પંચાયત સુધીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો સમાવેશ કરવામાં આવશે. જેના થકી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ મારફત સરકારની કલ્યાણ કારી યોજનાઓની માહિતી, વિકાસ કાર્યોની માહિતી, નાગરિકલક્ષી કેમ્પેઈન્સની ઈન્ફોગ્રાફી, વિસ્તૃત માહિતી ધરાવતા વિડીયો, સાફલ્ય ગાથા લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રયાસો થકી વિકસિત ભારત-વિકસિત ગુજરાતને સકારાત્મક વેગ મળશે તેમજ તમામ સમુદાયોના લોકોને સરકારી યોજનાઓ અને પ્રયાસોમાં જોડાવા અને સહભાગી બનાવવા પ્રેરણા આપશે. આ રીતે સોશિયલ મીડિયા સરકારે નાગરિકો સુધી સીધી, સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનો પૂલ બની રહ્યું છે. ડિજિટલ યુગમાં આ ઉપક્રમો પારદર્શક અભિગમ દ્વારા સુશાસનને વધુ મજબૂત બનાવી રહ્યા છે.