અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. તો બીજી તરફ કચ્છી નવા વર્ષની ઉજવણીને લઇને લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને કચ્છી નવા વર્ષની CMએ પાઠવી શુભેચ્છા છે.
ભૂપેન્દ્ર પટેલે ચોથી વખત કરી પહિંદ વિધિ
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.
કચ્છી નવા વર્ષની પણ CMએ પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે. મુખ્યમંત્રીએ અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.