Bharuch:જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે સપ્તાહભર રેડએલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની જમાવટ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. છેલ્લાં ચારેક દિવસથી શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ગરમીમાંથી રાહત સાંપડતાં લોકોએ હાશકારો મેળવ્યો છે. જોકે, આગામી એક સપ્તાહમાં ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ વચ્ચે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહભર લોકોને બીનજરૂરી પ્રવાસ ટાળવા માટે વહિવટી તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે.
ભરૂચ જિલ્લામાં શનિવારથી મેઘરાજાની એન્ટ્રી પડી ગઈ છે. એકંદરે 20 થી 22 જૂનથી શરૂ થતી ચોમાસાની ઋતુ આ વર્ષે એક સપ્તાહ પહેલાં જ શરૂ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે.ગુજરાત પરથી લો-પ્રેસરની અસર પસાર થવાની હોવાથી રાજ્યભરના કેટલાંક વિસ્તારમાં હવામાન વિભાગે રેડએલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં પણે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહભરમાં જિલ્લામાં છુટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે મધ્યમ કે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. આવા સમયે લોકોએ શક્ય હોય ત્યાં સુધી બીનજરુરી પ્રવાસ ટાળવા જોઈએ તેમ વહીવટી તંત્રએ જણાવ્યું છે. ઉપરાંત કોઈ વિસ્તારમાં આપાતકાલિન સ્થિતીનું નિર્માણ થાય તો લોકોએ જરુરી સાવચેતી રાખવા સાથે વહીવટી તંત્રને સહકારરૂપ થયા અનુરોધ કરાયો છે.
મક્તમપુર ખાતે આવેલી નસવારી કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડો. તેમજ હવામાન નિરીક્ષકએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ખેડૂતોએ ખેતરમાં પાણી ન ભરાય અને ભરાય તો તેનો ત્વરીત નિકાલ કેવી રીતે કરી શકાય તેનું આયોજન કરવું હિતાવહ છે. હાલમાં વાવણી કરવાથી નુકશાનીની શક્યતાઓ છે. ત્યારે ખેડૂતોએ થોડો ઉઘાડ નિકળ્યાં બાદ જમીનમાંથી વરાપ નિકળ્યાં બાદ વાવણી કરવી જોઈએ.
આપાત્કાલિન સ્થિતિ માટે નંબર જાહેર
ભરૂચ શહેર જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના ભાગરૂપે વહિવટી તંત્ર દ્વારા તમામ જરુરી તૈયારીઓ રાખવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને કારણે કોઈ સ્થળે આપાત્કાલિન સ્થિતીનું નિર્માણ થાય તો તુરંત વહિવટી તંત્રનો સંપર્ક કરી શકાય તે માટે જિલ્લાના ડિઝાસ્ટર કન્ટ્રોલ રુમના 02642 242300 અથવા તો ટોલ ફરી નંબર 1077 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
દેડિયાપાડા સહિત સમગ્ર તાલુકામાં વિધિવત ચોમાસું શરૂ
દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. આજે તા.17ના રોજ વહેલી સવારથી વરસાદી માહોલ છવાઇ ગયો હતો. અને સતત વરસાદ પડયા કરે છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા છે. ક્યારેક ધીમીધારે તો ક્યારેક જોરદાર ઝાપટાંના સ્વરૂપે વરસાદ સતત પડયા કરે છે. દેડિયાપાડામાં વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે. ખેડૂતો ખુશ થઈને ખેતીકામમાં પ્રવૃત થયા છે. દેડિયાપાડા અને સેલંબા વેપારી મથકે ખેડૂતો પાકોના બિયારણો લેવા માટે ઊમટી પડયાં હતા. દેડિયાપાડા ખાતે આવેલી ધામણખાડી, કરજણ નદી અને તરાવ નદી અને દેવનદી અને ખાડી કોતરોમાં વરસાદના પાણી ભરાયાં છે. ખેડૂતોના ખેતરમાં વરસાદના પાણી ભરાયાં છે. આકાશી વાતાવરણ ઉપરથી લાગી રહ્યું છે કે, જોરદાર વરસાદ પડશે. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગરમીથી લોકોને રાહત થઇ છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે.
હાંસોટમાં 5.52 ઈંચ અને અંકલેશ્વરમાં 3.32 ઈંચ વરસાદ
અંકલેશ્વર અને હાંસોટમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
અંકલેશ્વર : ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વિતેલા 24 કલાકમાં જિલ્લાના હાંસોટ તાલુકામાં સૌથી વધુ 5.52 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અંકલેશ્વરમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 5.52 ઈંચ વરસાદ ખાબકયો હતો, જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 2.28 ઈંચ, આમોદ 1.5 ઈંચ, વાગરા 3.52 ઈંચ, ભરૂચ 2.48 ઈંચ, ઝઘડિયા 1.5 ઈંચ, અંકલેશ્વર 3.32 ઈંચ, હાંસોટ 5.52 ઈંચ, વાલિયા 1 ઈંચ, નેત્રંગમાં 12 મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.
What's Your Reaction?






