Agriculture : પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સશક્તિકરણ માટે FPO વિશેષ પ્રયત્નો કરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતો જેટલા સંગઠિત હશે, એકબીજાને મદદરૂપ થશે તો તેમની ખેત ઉપજને ખૂબ સારું મૂલ્ય મળશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેડૂત ઉત્પાદક સંગઠનો - એફ.પી.ઓ.ના આગેવાનોને સંબોધતાં કહ્યું હતું કે, પાંચ આયામો; બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પહેલા જ વર્ષે ખેડૂતો રાસાયણિક ખાતર જેટલું જ ઉત્પાદન મેળવી શકે છે.
ખેડૂતોના સશક્તિકરણ માટે એફ.પી.ઓ.એ વિશેષ પ્રયત્નો કરવાની આવશ્યકતા
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાકૃતિક ખેતી આધારિત ખેડૂત ઉત્પાદક સંગઠનોની કાર્યક્ષમતા નિર્માણ માટે બે દિવસીય રાજ્ય સ્તરીય પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આજે બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજભવન, ગાંધીનગરથી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા. ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓને તેમણે કહ્યું કે, ખેડૂતોના સશક્તિકરણ માટે એફ.પી.ઓ.એ વિશેષ પ્રયત્નો કરવાની આવશ્યકતા છે.
ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય છે
ખેડૂતો સારી ગુણવત્તાવાળું બિયારણ વાપરે, જે ખેડૂતો પાસે જીવામૃત-ઘનજીવામૃત તૈયાર કરવાની સગવડ ન હોય તેમને ગૌશાળાઓ-પાંજરાપોળમાંથી સારી ગુણવત્તાવાળા જીવામૃત-ઘનજીવામૃત મળી રહે, તેટલું જ નહીં; પાંજરાપોળ-ગૌશાળામાં તથા બાયો ઈનપુટ સેન્ટરોમાં ગુણવત્તાસભર જીવામૃત-ઘનજીવામૃત તૈયાર થાય તે માટે પણ ખેડૂત ઉત્પાદક સંગઠનો માર્ગદર્શક અને મદદરૂપ થાય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૂમિની ઉત્પાદકતા અને ભૂગર્ભ જળ વધારવા, પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય છે.
સહકાર, જલ અને પશુ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી છે
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી આપણા હવા અને પાણી દૂષિત થઈ ગયા છે. એટલું જ નહીં, આપણે જે દૂધ, શાકભાજી, ફળ અને અનાજ ખાઈએ છીએ એમાં પણ ધીમું ઝેર આપણા શરીરમાં જઈ રહ્યું છે, જે અનેક ગંભીર રોગોનું કારણ બને છે. આવનારી પેઢીના હિત માટે આપણે અત્યારે આ માટે ચિંતા કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની જરૂરિયાત જોઈને અલગ સહકાર, જલ અને પશુ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો અને ખેતી પ્રતિ કેટલા જવાબદાર છે
ખેતી સાથે સંકળાયેલા આ મંત્રાલયોની રચનાથી જ એ પ્રમાણ મળે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો અને ખેતી પ્રતિ કેટલા જવાબદાર છે. રાજ્યપાલે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી રાષ્ટ્રીય મિશનની રચના કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આત્મનિર્ભર અને ખેતીને સમૃદ્ધ બનાવવાની દિશામાં ખૂબ મહત્વનું પગલું ભર્યું છે. ખેડૂતો પ્રમાણિકતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરે એવી અપીલ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, વપરાશકર્તાઓનો વિશ્વાસ સંપાદન કરવાની જવાબદારી ખેડૂતોની છે. ઉપભોક્તાને વિશ્વાસ બેસે કે તેને જે અનાજ-શાકભાજી-ફળ મળી રહ્યા છે, તે સંપૂર્ણપણે પ્રાકૃતિક ઉત્પાદન છે.
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માંગ પણ ઘણી છે
ખેડૂતો પ્રમાણિકતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરે તો તેથી વધુ મોટું પુણ્ય કર્મ બીજું કોઈ નથી. ખેડૂત ઉત્પાદન સંગઠનો ખેડૂતોને પ્રમાણપત્ર મેળવી આપવામાં પણ મદદ અને માર્ગદર્શન આપે એ માટે રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી 97 જેટલા પ્રાકૃતિક ખેતી આધારિત એફ.પી.ઓ.ને સતત માર્ગદર્શન આપી રહી છે. આ ખેડૂત ઉત્પાદક સંગઠનોની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય એવા આશયથી બે દિવસથી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ દરમિયાન ઘણા વિષય નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. આજે કૃષિ ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટિમ્બડીયાએ બે દિવસની કાર્યશાળાનો વિગતવાર અહેવાલ આપ્યો હતો. આ કાર્યશાળામાં તમામ એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
What's Your Reaction?






