નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે 35 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ કરવામાં આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં SDRFની 1 ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. 24 સભ્યોની ટીમ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધનો સાથે સજ્જ છે.
નવસારીમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર
બીજી તરફ ઉપરવાસમાં વરેલા ભારે વરસાદને પગલે નવસારીમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ખેરગામથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. તાન અને ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તાન નદી પર આવેલી પાટી ખટાણા તેમજ ચીમનપાડા મરઘમાળ ગામ વચ્ચે આવેલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. ઔરંગા નદી પર ભાભા ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે તો નાધઈ મરલાને જોડતો ગરગડીયા પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. નવસારી-વલસાડ જિલ્લાના ગામોનો સંપર્ક તૂટ્યો છે.
16 જૂને ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાયા
16 જૂને નવસારીમાં ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાવામાં આવ્યા હતા. અંબિકા નદી સ્થિત ડેમના 40 પૈકી 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નવા પાણીની આવકને પગલે ડેમ ખાલી કરવામાં આવ્યો છે. અંબિકા નદી કાંઠા વિસ્તારના 11 ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું. દેવધા, દેવસર,મોરલી,ભાઠા,કલમઠા, તલોધ, વાઘરેચ,બિગરી,ગોયંદી,ધોલાઈ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.